ગુજરાતમાં શિક્ષણમંત્રીએ આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ શિક્ષણ પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને AAPના નેતા મનીષ સિસોદિયાએ તાજેતરમાં જ ગુજરાતના શિક્ષણમંત્રીના મતવિસ્તાર ભાવનગરની સરકારી સ્કૂલોની મુલાકાત લઈને સરકારની નિષ્ફળતાની પોલ ખોલી હતી. ત્યાર બાદ સરકારે ભાવનગરની ખંડેર હાલતમાં રહેલી સ્કૂલોને રિનોવેટ કરવાની શરૂઆત કરી હતી. હવે આમ આદમી પાર્ટી(AAP)એ શિક્ષણને લઈને નવું અભિયાન શરૂ કર્યું છે. એમાં પાર્ટી દ્વારા એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર જનતાને ખંડેર સ્કૂલોના ફોટા મોકલવા જણાવ્યું છે. આ ફોટાને પાર્ટી મીડિયા અને સોશિયલ મીડિયા થકી વડાપ્રધાનને મોકલશે અને સરકારની નિષ્ફળતાને ઉજાગર કરશે. ગોપાલ ઈટાલિયાએ એવું પણ કહ્યું હતું કે હાર્દિક પટેલ જેવા ક્રાંતિકારી યુવાનને AAPમાં જોડાવવાનું મારું આમંત્રણ છે.AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અમે સરકાર સામે પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી અને મુખ્યમંત્રીને દિલ્હીની સરકારી સ્કૂલો જોવા માટેનું આમંત્રણ આપ્યું છે. AAPના આવવાથી દિલ્હીમાં શિક્ષણનું કામ થયું એ ચર્ચાનો વિષય બન્યું છે. રાજ્યમાં આજદિન સુધી હિન્દુ-મુસ્લિમ અને સમાજની રાજનીતિ થઈ પણ અમે શિક્ષણની રાજનીતિની ચર્ચા કરી છે. હાલમાં ભાવનગરની સ્કૂલોમાં પણ રિનોવેશનનું કામ શરૂ થઈ ગયું છે.તેમણે કહ્યું હતું કે મનીષ સિસોદિયાની મુલાકાત બાદ ભાવનગરની તમામ ખંડેર સ્કૂલોનું રિનોવેશન શરૂ કરી દેવાયું છે. વડાપ્રધાન ગુજરાતની મુલાકાત આવવાના છે અને કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે મુલાકાત લેવાના છે. મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી વડાપ્રધાનને 2-4 સારી સ્કૂલો બતાવી આંખમાં ધૂળ ન નાખે. આમ આદમી પાર્ટી દ્વારા એક નંબર જાહેર કરવામાં આવે છે, જેમાં કોઈપણ ગામ, તાલુકા શહેરની શાળાઓ જે તૂટેલી ખંડેર હોય એના ફોટો અમને મોકલે. મીડિયા અને સોશિયલ મીડિયા મારફત અમે આ સ્કૂલોની માહિતી વડાપ્રધાન સુધી પહોંચાડીશું.